ભારતમાં સ્વાતંત્ર્યોત્તર ભારત Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો:
પ્રશ્ન 1.
ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલિનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો.
અથવા
દેશી રાજ્યોના એકીકરણ વિશે માહિતી આપો.
ઉત્તર:
સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાનાં-મોટાં મળીને 562. દેશી રાજ્યો હતાં.
- તેમનું ક્ષેત્રફળ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48 % હતું. તેમની કુલ વસ્તી દેશની સમગ્ર વસ્તીના લગભગ પાંચમાં ભાગ જેટલી હતી.
- કશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતાં.
- બધાં દેશી રાજ્યોના રાજાઓ તેમજ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. આ કાર્ય ઝડપથી પૂરું કરવાનું હતું.
- સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે 15 જાન્યુઆરી, 1948ના રોજ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’ શરૂ કરી, સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી, 1948માં તેમાં વિલીન થઈ ગયું.
- સરદાર પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનની મદદથી તેમણે દેશી રાજ્યો માટે એક ‘જોડાણખત’ અને ‘જેસે થે કરાર’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધાં દેશી રાજ્યોની ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી. સરદાર પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે. સરદાર પટેલે ભારત સરકાર વતી રાજાઓને તેમનાં સાલિયાણાં, દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી.
- સરદાર વલ્લભભાઈ પટેલે રજૂ કરેલા મુસદ્દાથી રાજાઓ સંતુષ્ટ થયા.
- આથી જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયનાં બધા (559) રાજાઓએ 15 ઑગસ્ટ, 1947 પહેલાં જ જોડાણખત પર હસ્તાક્ષર કરી પોતાનાં રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધાં.
- જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના જોડાણના પ્રશ્નો જુદી રીતે ઉકેલવામાં આવ્યા.
- જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
- હૈદરાબાદના નિઝામ સામે ‘પોલીસ પગલું’ ભરીને હૈદરાબાદને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
- આઝાદી પછી પાકિસ્તાને જમ્મુ-કશ્મીર પર આક્રમણ કર્યું. એ સમયે કશ્મીરનું રક્ષણ કરવા ભારત સરકારની મદદ મેળવવા રાજા હરિસિંહે તાત્કાલિક જોડાણખત પર સહી કરી જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડી દીધું.
પ્રશ્ન 2.
હૈદરાબાદ અને જૂનાગઢનાં રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યાં? સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
હૈદરાબાદઃ ભારતને સ્વરાજ્ય મળ્યું એ પૂર્વે હૈદરાબાદના નવાબ નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાની ઇચ્છા પ્રગટ કરી અને પોતાના રાજ્યને 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું.
- સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સોના હિતમાં છે.
- એ સમયે નિઝામના અધિકારીઓએ અને તેની સેનાએ પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે 18 સપ્ટેમ્બર, 1948ના રોજ પોલીસ પગલું ભરીને તેને ભારતીય સંઘ સાથે જોડી દીધું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોના રક્ષણની બાંયધરી આપવામાં આવી. આ કામગીરીમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
- જૂનાગઢ: જૂનાગઢના નવાબે આઝાદીના દિવસે જ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું.
- સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું.
- મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો.
- જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો.
- ભારતના સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.
- ભારત સરકારે 9 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતાં લોકોએ જૂનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.
- આમ, સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.
પ્રશ્ન 3.
દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો.
અથવા
ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને કબજે કરવા શો નિર્ણય કર્યો? શા માટે?
અથવા
ગોવા, દીવ અને દમણના ભારતીય સંઘમાં જોડાવાની પ્રક્રિયાનું વર્ણન કરો.
ઉત્તર:
ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
- એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનાં સંસ્થાનો હતાં.
- એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા. પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.
- ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો. ત્રિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરી. 15 ઑગસ્ટ, 1955ના રોજ લોકોએ ‘ગોવા મુક્તિ આંદોલન’ કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અનેક સત્યાગ્રહીઓ શહીદ થયા.
- વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહિ મળે એમ માનીને ભારત સરકારે ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ‘ઑપરેશન વિજય’ નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો.
- 18 ડિસેમ્બર, 1961ના રોજ હેઠળ લશ્કરે અભિયાન શરૂ કર્યું. ભારતનાં લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. 19મી ડિસેમ્બરની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડિ-સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ, ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. ત્રણેય સંસ્થાનોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
2. નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો:
પ્રશ્ન 1.
દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી?
ઉત્તર:
દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે આ અપીલ કરી: “તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં, તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા પોતાની સંમતિ આપે.”
પ્રશ્ન 2.
હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું?
ઉત્તર :
સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી.
- તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
- એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું.
પ્રશ્ન 3.
ફેચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ?
ઉત્તર:
ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ભારતમાં ફ્રેંચોની પુડુચેરી સહિત પાંચ વસાહતો હતી.
- એ પ્રદેશોના લોકો ભારતીય સંઘમાં જોડાવા માગતા હતા. એ માટે તેમણે ઉગ્ર સ્વાતંત્ર્ય-ચળવળો શરૂ કરી. ફ્રેંચ સરકારે એ ચળવળોને દબાવી દેવાના પ્રયત્નો કર્યા.
- ઈ. સ. 1948માં પુડુચેરીના લોકોએ એક વિરાટસભા યોજી ફ્રેંચ સરકારને ભારત છોડો’નું એલાન આપ્યું.
- ભારત સરકારે પુડુચેરીનું શાંતિમય સમાધાન કરવા ફ્રેંચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ લોકો પુચેરીને તાત્કાલિક આઝાદ કરી ભારતમાં જોડી દેવા માગતા હતા. ફ્રેંચોના અંકુશ હેઠળની અન્ય વસાહતોના લોકોએ પણ સ્વાતંત્ર્ય-ચળવળો શરૂ કરી હતી.
- નામના લોકોની મુક્તિસેનાએ ઈ. સ. 1954માં એનામનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.
- લોકોનો મિજાજ પારખીને ફ્રેંચ સરકારે 13 ઑક્ટોબર, 1954માં ભારત સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. વાટાઘાટોના અંતે ફ્રેંચ સરકાર તેની પુડુચેરી, કરાઇકલ, ચંદ્રનગર, માહે અને યનમ આ પાંચ ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ.
પ્રશ્ન 4.
‘ઑપરેશન વિજય’ એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું?
ઉત્તર :
“ઑપરેશન વિજય’ એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન.
- ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનાં સંસ્થાનો હતાં.
- એ સંસ્થાનો ભારતને સુપ્રત કરવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા. પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.
- ગોવાને ભારતમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. 18 જૂન, 1954ના રોજ લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો.
- 15 ઑગસ્ટ, 1955ના રોજ હજારો લોકોએ ‘ગોવા મુક્તિ આંદોલન’ કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો.
- પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અસંખ્ય સત્યાગ્રહીઓ શહીદ થયા. પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા. ગોવામાં સ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ. વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહિ મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું.
3. નીચેના પર ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો દેશી રાજ્યો – રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો
ઉત્તર:
15 ઑગસ્ટ, 1947 પહેલાં ભારતમાં નાનાં-મોટાં 562 દેશી રાજ્યો હતાં. ભારતની સાથે એમને પણ સ્વતંત્રતા મળી.
- સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ, 1947માં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહમંત્રી હતા.
- તેમણે અને તેમના સચિવ વી. પી. મેનને ‘જોડાણખત અને ‘જૈસે થે કરાર’ (15 ઑગસ્ટ, 1947ની સ્થિતિ જાળવી રાખવી.)નો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારતીય સંઘને એક, અખંડ, મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી.
- તેમણે રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ નિર્મુળ કરી.
- તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો, હકો અને હિતોના રક્ષણની તેમજ સાલિયાણાં આપવાની ખાતરી આપી.
- આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણખત પર હસ્તાક્ષર કરી તેમનાં રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું.
- હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતાં તેની સામે ‘પોલીસ પગલું’ લઈને તેના રાજ્યને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
- જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્ય અને નૌકાદળને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. નવેમ્બર, 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું.
- કશ્મીરના રાજા હરિસિંહે કશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું.
- સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વી. પી. મેનનનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો.
- આમ, સરદાર પટેલ અને વી. પી. મેનને ખૂબ ધીરજ અને અસાધારણ કુનેહ દાખવી દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે એકીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખોઃ ભારતનો ટેક્નોલૉજી ક્ષેત્રે વિકાસ
ઉત્તર:
છેલ્લાં 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે.
- ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસમાં ડૉ. હોમી ભાભા, ડૉ. રાજા રામન્ના, ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. સી. વી. રામન, સર એમ. વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ઈ. શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેક્નોક્રેટોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે.
- આ ઉપરાંત, ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વનસ્પતિ ક્ષેત્રે જાનકી અમ્મા, રસાયણશાસ્ત્રના ક્ષેત્રે અસીમા ચેટરજી, તબીબી ક્ષેત્રે ડૉ. ઇન્દિરા આહુજા, ગણિતશાસ્ત્રમાં માનવ સંગણક Human Computer)માં શકુંતલાદેવી, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ.
- વિજ્ઞાન અને ટેક્નોલૉજીના શિક્ષણ અને સંશોધન માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિસ’, ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી’, ‘ઇન્ડિયન રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો), “ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
- ભારતે અદ્યતન કૃષિ ટેક્નોલૉજી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીઓનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્નઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે.
- પરમાણુ વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભારત ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેક્નોક્રેટોના સંયુક્ત પ્રયાસથી અદ્યતન પરમાણુ મથકો ઊભાં કર્યા છે. ભારતે પરમાણુ બૉમ્બ અને વિવિધ અંતરનાં મિસાઇલો વિકસાવ્યાં છે. દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે બે વખત સફળ પરમાણુ પરીક્ષણ કર્યા છે.
- ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, ‘રોહિણી’ જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે, તેમજ ઉપગ્રહો છોડવા માટેનાં વ્હીકલ (GSLV) વિકસાવ્યાં છે.
- છેલ્લા એક જ દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલૉજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઇલ ટેલિફોન, ટી.વી., કમ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય છે.
- આ ઉપરાંત, ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયો-ટેક્નોલૉજીનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે.
પ્રશ્ન 3.
હરિયાળી ક્રાંતિ
ઉત્તર:
ભારતમાં કૃષિક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન-ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ-ઉત્પાદન ઘણું વધ્યું છે. આ ઘટના હરિયાળી ક્રાંતિ’ કહેવાય છે.
- ભારતે હરિયાળી ક્રાંતિ સાધી એની પાછળ રહેલાં કારણોઃ
- મોટાં જળાશયો અને બંધોમાંથી કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સગવડો.
- અદ્યતન કૃષિ ટેક્નોલૉજીનો ઉપયોગ.
- કૃષિ સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું સંશોધન – માર્ગદર્શન
- ઉત્તમ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી, પંપ સેંટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો.
- ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય.
- ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન અને કૃષિમેળાઓ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન.
- જિલ્લા કક્ષાએ સ્થપાયેલાં ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે.
પ્રશ્ન 4.
ટૂંક નોંધ લખો: પ્રદેશવાદ
ઉત્તર:
ભારતદેશ અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એકસાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા છે.
- ભારતીય સમાજમાં વિદેશી પ્રજા અને તેમનાં સાંસ્કૃતિક મૂલ્યોનો સમન્વય થયો. એ પ્રજા જે પ્રદેશમાં લાંબા સમયથી વસવાટ કરતી હતી તેમને ત્યાંની ભૂમિ માટે એક પ્રકારની લાગણી જન્મી તેને પ્રદેશવાદની ભાવના’ કહે છે.
- પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણેય પરિબળો જવાબદાર છે.
- ભાષાવાદે પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિંદીભાષી પ્રજામાં અને દક્ષિણ ભારતમાં બિનહિંદીભાષી પ્રજામાં પ્રદેશવાદની લાગણી તીવ્ર છે.
- ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં એક જ કોમની બહુમતી છે. આ પ્રજા પોતાનો અલગ ધર્મ પાળે છે. દા. ત., નાગાલૅન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોની પ્રજાના રીતરિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાય વગેરેમાં વિવિધતા પ્રવર્તે છે. તેમનામાં ધર્મને કારણે પ્રદેશવાદની ભાવના જન્મી છે.
- પ્રદેશવાદના જાતિવાદના પરિબળને કારણે પંજાબ અને હરિયાણાની રચના થઈ. બિહારમાંથી ઝારખંડ રાજ્ય મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય આ જ કારણે રચાયાં છે. આજે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની માગણી થઈ રહી છે. પ્રદેશવાદની સંકુચિત લાગણીનો વિચાર વધતો જાય છે.
- કેટલાક પ્રદેશો – રાજ્યોમાં નેતાઓ અને કેટલાંક બળવાખોર જૂથો લોકલાગણીને ઉશ્કેરી પ્રદેશવાદને ઉત્તેજન આપે છે. આ પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નુકસાનકારક છે.
પ્રશ્ન 5.
ટૂંક નોંધ લખો: પ્રાદેશિક અસમાનતા
ઉત્તર:
ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ થયો નહોતો તે પ્રદેશોમાં વિકાસનાં કામો કર્યા નહિ. પરિણામે એ વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી.
- ભારતની ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાઓને કારણે દેશના જુદા જુદા પ્રદેશોનો – રાજ્યોનો સમતોલ આર્થિક વિકાસ થયો નથી.
- દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવર્તતી કુદરતી સંસાધનોની વિષમતાઓને કારણે બધા પ્રદેશોનો ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિક્ષેત્રે એકસરખો વિકાસ થયો નથી.
- આઝાદી પછી ભારતનો આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવા માટે આયોજનપંચ(હવે નીતિઆયોગ)ની રચના થઈ. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો. પરંતુ પ્રદેશવાદનાં દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્રોતો, વગેરે અનેક પરિબળોને લીધે દેશના બધા પ્રદેશોનો સમતોલ આર્થિક વિકાસ સાધવામાં નોંધપાત્ર સફળતા મળી નથી. આથી, સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવર્તતી જોવા મળે છે.
- ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં માથાદીઠ આવક, સાક્ષરતાનો દર, આરોગ્ય અને શિક્ષણ સેવાઓ, ઉદ્યોગીકરણની માત્રા, વાહનવ્યવહાર અને સંદેશવ્યવહારની સગવડો, શહેરીકરણનો દર વગેરે બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે. તેથી દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યો જોવા મળે છે.
- કેટલાંક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. મહારાષ્ટ્ર વિકસિત રાજ્ય છે પણ તેના વિદર્ભ અને મરાઠાવાડના વિસ્તારો પછાત છે.
- આંધ્ર પ્રદેશ રાજ્યમાં રાયલસીમા અને તેલંગણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પવિકસિત છે. ભારતનાં કેટલાંક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાંક રાજ્યો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. આમ, રાજ્યો-રાજ્યો વચ્ચે ઘણી બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે.
- પ્રદેશવાદને કારણે કેટલાંક રાજ્યો વચ્ચે સરહદી જમીન તથા જળની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે તથા પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે. પોતાના રાજ્યની ખનીજસંપત્તિ અને જંગલસંપત્તિ પોતાને જ મળે એવી પ્રાદેશિક સંકુચિતતા પ્રજામાં જોવા મળે છે.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
A. સુભાષચંદ્ર બોઝની
B. વડોદરાના ગાયકવાડની
C. સરદાર વલ્લભભાઈ પટેલની
D. મોતીલાલ નેહરુની
ઉત્તર:
C. સરદાર વલ્લભભાઈ પટેલની
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત નથી?
A. ચંડીગઢ
B. જમ્મુ-કશ્મીર
C. લક્ષદ્વીપ
D. પુડુચેરી
ઉત્તર:
B. જમ્મુ-કશ્મીર
પ્રશ્ન 3.
હાલ (ઈ. સ. 2016) ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?
A. 26
B. 27
C. 28
D. 29
ઉત્તર:
D. 29
પ્રશ્ન 4.
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?
A. ઉત્તરાખંડ
B. છત્તીસગઢ
C. તેલંગણા
D. ઝારખંડ
ઉત્તર:
C. તેલંગણા
પ્રશ્ન 5.
ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું?
A. છત્તીસગઢ
B. બિહાર
C. તેલંગણા
D. ઉત્તરાખંડ
ઉત્તર:
B. બિહાર
પ્રશ્ન 6.
નીચેનામાંથી કયાં બે રાજ્યો ‘સેવન સિસ્ટર્સમાં’નાં રાજ્યો નથી?
A. મણિપુર, અસમ
B. ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ
C. મિઝોરમ, નાગાલૅન્ડ
D. ઉત્તરાખંડ, ઝારખંડ
ઉત્તર:
D. ઉત્તરાખંડ, ઝારખંડ
પ્રશ્ન 7.
નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી?
A. આંધ્ર પ્રદેશ
B. ગોવા
C. દિલ્લી
D. ગુજરાત
ઉત્તર:
B. ગોવા
પ્રશ્ન 8.
ગુજરાત રાજ્યની સ્થાપનાદિન કયો છે?
A. 1 મે, 1961
B. 1 મે, 1960
C. 1 મે, 1962
D. 1 મે, 1970
ઉત્તર:
B. 1 મે, 1960
પ્રશ્ન 9 .
ભારત સ્વતંત્ર બન્યા પછી (દેશના) સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી?
A. કૃષિપંચની
B. શિક્ષણપંચની
C. આયોજનપંચની
D. કોઠારી પંચની
ઉત્તર:
C. આયોજનપંચની
